સનાતન ધર્મમાં તુલસીના છોડની ઉપાસનાનો સવિશેષ મહિમા છે. માન્યતા અનુસાર તુલસીનો છોડ મનુષ્યના દરેક પ્રકારના પાપકર્મનો નાશ કરે છે. એ જ કારણ છે કે નિત્ય સવારે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને તુલસીના છોડના દર્શન અને પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. તુલસીના પ્રતાપે વ્યક્તિને ઘરે બેઠાં જ તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
તે વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જાનો નાશ કરનાર મનાય છે. તો, તુલસીનો છોડ ઘરમાં રાખવા પાછળ અનેકવિધ રહસ્યો પણ છૂપાયેલા છે. આવો, આજે તેવાં જ કેટલાંક રહસ્યો વિશે જાણીએ.
તુલસી છોડના અદ્વિતીય રહસ્ય !
⦁ શ્રીપુરુષોત્તમ ક્ષેત્રમાં ભગવાન ગદાધરના દર્શન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે જ ફળ તુલસીના છોડના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. એ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે જે દિવસે તુલસીના દર્શન કરવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત તુલસીના દર્શન છે, તેને ક્યારેય કોઇ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. તે જન્મજન્માંતરના પાપકર્મમાંથી મુક્તિ મેળવી લે છે.
⦁ પ્રચલિત માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીદળનો સ્પર્શ કરી લે છે, તે દરેક પાપમાંથી મુક્ત થઇને મોક્ષની પ્રાપ્તિ કરે છે. વાસ્તવમાં તુલસીદળનો સ્પર્શ કરવો એ જ મુક્તિ છે. કારણ કે, એ જ પરમ વ્રત છે.
⦁ જે વ્યક્તિ તુલસીના છોડની પરિક્રમા કરી લે છે, તેને સાક્ષાત ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરવા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તેમાં કોઇ બેમત નથી. જે મનુષ્ય ભક્તિપૂર્વક તુલસીમાતાને પ્રણામ કરે છે, તે વાસ્તવમાં ભગવાન વિષ્ણુનું જ સાયુજ્ય પ્રાપ્ત કરે છે અને જન્મ-મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવી લે છે.
⦁ જ્યાં તુલસીજીનો છોડ છે ત્યાં લક્ષ્મીજી અને સરસ્વતીની સાથે સાક્ષાત ભગવાન જનાર્દન પ્રસન્નતાપૂર્વક બિરાજમાન રહે છે. સર્વ દેવમય જગન્નાથ ભગવાન વિષ્ણુ ત્યાં વાસ કરે છે. એટલે એ ઉત્તમ સ્થાન દેવતાઓ માટે પણ દુર્લભ છે. એ શ્રેષ્ઠ સ્થાનમાં જે વ્યક્તિ જાય છે તે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે.
⦁ જે વ્યક્તિ તુલસીના છોડની માટીનું તિલક મસ્તક, કંઠ, બંન્ને કાન, બંન્ને હાથ, પીઠ તેમજ નાભિ પર લગાવે છે, તે પુણ્યાત્માને શ્રેષ્ઠ વૈષ્ણવ માનવામાં આવે છે.
⦁ જે વ્યક્તિ તુલસીની માંજરથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેના તમામ પાપ દૂર થઈ જાય છે.
⦁ જે વ્યક્તિ વૈશાખ, કારતક તથા માઘ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને પરમાત્મા સુરેશ્વર ભગવાન વિષ્ણુને વિધિ વિધાનથી તુલસી પત્ર અર્પણ કરે છે, તેને તે કર્મનું અનંતગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
⦁ 10,000 ગાયનું દાન કરવાથી તથા સેંકડો વાજપેય યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જ ફળ કારતક માસમાં તુલસીના પાન અને તુલસીના માંજરથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે.
⦁ જે રીતે સાક્ષાત ગંગા દરેક નદીઓમાં શ્રેષ્ઠ છે, તેવી જ રીતે છોડમાં સાક્ષાત તુલસીજીના સ્વરૂપને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર જ્યાં તુલસીજીનો છોડ સ્થિત છે, ત્યાં દરેક તીર્થોની સાથે સાક્ષાત ભગવતી ગંગા સદાય નિવાસ કરે છે.
⦁ બ્રહ્મા, વિષ્ણુ આદિ પ્રમુખ દેવતાઓ દ્વારા પૂજીત થયેલ છે તુલસી વિશ્વને પવિત્ર કરવાના હેતુથી પૃથ્વી પર ઉત્પન્ન થયેલ છે આ પ્રકારે જે વ્યક્તિ તુલસીને નિત્ય પ્રણામ કરે છે,તેની દરેક મનોકામના માતા તુલસી પૂર્ણ કરે છે.
⦁ ભગવતી તુલસી દરેક દેવતાઓની પરમ પ્રસન્નતા વધારનાર છે. જ્યાં તુલસીવન હોય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને પિતૃગણ પણ પરમ પ્રીતિપૂર્વક તુલસીવનમાં નિવાસ કરે છે.
⦁ પિતૃ દેવાર્ચન જેવા કાર્યોમાં તુલસીપત્ર અવશ્ય પ્રદાન કરવું જોઇએ. તુલસીને ત્રિલોકીનાથ ભગવાન વિષ્ણુ, દરેક દેવી-દેવતાઓ અને વિશેષ કરીને પિતૃગણો માટે પ્રસન્નતા આપનાર માનવામાં આવે છે. એટલે જ દેવ અને પિતૃકાર્યોમાં તુલસીપત્ર અવશ્ય સમર્પિત કરવું જોઇએ.
⦁ જો અત્યંત ભાગ્યવશ આંબળાનું વૃક્ષ પણ તુલસીના છોડની પાસે હોય તો તે વધુ પુણ્ય પ્રદાન કરનાર બને છે. જ્યાં આ બંનેની નજીકમાં બીલીવૃક્ષ હોય છે, ત્યાં સાક્ષાત વારાણસી સમાન મહાતીર્થ બિરાજમાન થાય છે. આ સ્થાન પર ભગવાન શંકર, દેવી ભગવતી તથા ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન મહાપાતકોનો નાશ કરનાર તથા બહુપુણ્યદાયક માનવામાં આવે છે. જે વ્યક્તિ ત્યાં એક બીલીપત્ર પણ ભગવાન શિવને અર્પણ કરી દે છે, તો તે સાક્ષાત ભગવાન શિવના દિવ્યલોકની પ્રાપ્તિ કરી લે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)